તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ ।
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ॥ ૧૪॥
તત:—ત્યાર પછી, શ્વેતૈ:—શ્વેત, હયૈ:—અશ્વોથી, યુક્તે—જોડાયેલા, મહતિ—ભવ્ય, સ્યન્દને—રથમાં, સ્થિતૌ—સ્થિત, માધવ:—શ્રી કૃષ્ણ (ભાગ્યદેવી, લક્ષ્મીના પતિ), પાણ્ડવ:—(પાણ્ડુપુત્ર) અર્જુન, ચ—અને, એવ—નક્કી, દિવ્યૌ—દિવ્ય, શઙ્ખૌ—શંખ, પ્રદધ્મતુ:—ફૂંક્યા.
BG 1.14: તત્પશ્ચાત્ પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
કૌરવોની સેનાના શંખનાદનો ધ્વનિ શાંત પડયા પશ્ચાત્ ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ તથા અર્જુને નિર્ભિકતાથી શક્તિશાળી શંખનાદ કરીને પાંડવોની યુદ્ધ માટેની ઉત્કંઠા પ્રજ્વલિત કરી.
સંજય ‘માધવ’ શબ્દનો ઉપયોગ શ્રી કૃષ્ણ માટે કરે છે. ‘મા’ નો અર્થ ભાગ્યની દેવી અને ‘ધવ’નો અર્થ પતિ થાય છે. શ્રી કૃષ્ણ તેમના ભગવાન વિષ્ણુના રૂપમાં ભાગ્યની દેવી લક્ષ્મીના પતિ છે. આ શ્લોક દર્શાવે છે કે, ભાગ્યની દેવીની અનુકંપા પાંડવોના પક્ષે હતી અને તેઓ શીઘ્ર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને તેમનું છીનવાઈ ગયેલું રાજસિંહાસન ફરી પ્રાપ્ત કરી લેશે.
પાંડવોનો અર્થ છે પાંડુપુત્રો. પાંચ ભાઈઓમાંથી કોઈને પણ પાંડવ કહીને સંબોધિત કરવામાં આવે છે. અહીં, આ શબ્દનો ઉપયોગ અર્જુન માટે થયો છે. જે ભવ્ય રથ પર તે આરૂઢ હતો, તે અગ્નિદેવ દ્વારા તેને ઉપહારના સ્વરૂપે પ્રદાન કરવામાં આવ્યો હતો.